May 25, 2017

પૂર્વગ્રહ છોડે, એ જ ઉપગ્રહ છોડી શકે !


પૂર્વગ્રહ છોડે, એ જ ઉપગ્રહ છોડી શકે !
બાળકો દરેક બાબત વિષે વિચારતા રહે છે. તેમના રમકડાથી લઇ મમ્મીની સાડી કે પપ્પાના પાકીટ સુધી તેમના મગજમાં વિચારો ઘુમરાતા રહે છે. એમણે મોટેરાઓની જેમ વિચારવાથી થાક નથી લાગતો ! તેમણે મન આવા વિચારો કરવા – રમકડાના ઘર/ગાડી માં નવા નવા બદલાવ કરવા એ બધું “કામ” નહિ રમત હોય છે અને તે રમત રમતમાં જ આપણને નવા આઈડીયાઝ ભેટ કરે છે.
   આપણી પાસે કોઇપણ કામનું સરલીકરણ અથવા તો નવીનીકરણ કરવા સીમિત તર્ક હોય છે, અને તેનું સૌથી મોટું કારણ હોય છે આપણા પૂર્વગ્રહો ! આપણે દરેક કામને જોતી વખતે આપણા જ્ઞાનને આધારે તે કેમ ના થાય તે વિચારવા ટેવાઈ જઈએ છીએ. બાળકો તો બસ એમની કલ્પનાની પવન પાવડી લઈને એ ય આખા બ્રહ્માંડની સફરે ઉપાડી જાય તેવા છે. આનું એક ઉદાહરણ જોવા મળ્યું  બાળકોમાં રહેલી આવી સર્જનાત્મકતા અને તર્ક શક્તિને વિકાસવાવમાં મદદ મળે તેવા એક વર્કશોપમાં – જ્યાં ૫ થી ૮ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ એન્જીનીઅરીંગ કરતા વિદ્યાર્થીઓ કરતા લોકોની સુખાકારી વધારવા અંગે વધુ આઈડીયાઝ આપ્યા. આ વર્કશોપનું આયોજન  યુનિસેફ-જી.સી.ઈ.આર.ટી. અને સૃષ્ટિ સંસ્થાએ ગ્રામભારતી અમરાપુર ખાતે કર્યું. ગુજરાતમાંથી ૧૦ શાળાઓને આમંત્રણ હતું. આપણી શાળાના ત્રણ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકે આ વર્કશોપમાં ભાગીદારી કરી.
  એમણે જુદા જુદા અનુભવોમાંથી પસાર કરવામાં આવ્યા ! એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો, ગ્રાસરૂટ ઇનોવેશન કરનારા વ્યક્તિઓ – હા, આપણે થ્રી ઈડિયટ્સમાં જોયેલી એવી જ શાળા ત્યાં રચાઈ ! એમાં જે સ્કૂટર બતાવ્યું છે તેનો આઈડિયા જેનો હતો એ જહાંગીરભાઈએ પણ ત્યાં બાળકો સાથે સમય વિતાવ્યો ! પ્રોફેસર અનીલ ગુપ્તા સર, ચેતનભાઈ, ભાવેશભાઈ જેવા વ્યક્તિઓ સાથે વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ જુદા જુદા સમયે ચર્ચા કરી. જુદા જુદા ગામડામાં જઈ ત્યાંના વ્યક્તિઓને તેમની મુશ્કેલીઓ પૂછી. તે મુશ્કેલીઓની નોંધ કરી આવ્યા બાદ તે નિવારવા શું કરી શકાય તે માટેની ચર્ચા કરી. તે આધારિત પ્લાન લખ્યો, ચિત્રો બનાવ્યા અને તે બધા સમક્ષ રજુ કર્યા ! ઇન શોર્ટ ખરા અર્થમાં જીવનને સ્પર્શતું શિક્ષણ તેમણે ત્યાં મેળવ્યું.
              હવે તો બસ શાળા ખુલે અને તેઓ ત્રણ સૌને પોતાના અનુભવો શેર કરશે અને તે પછી આવતા વર્ષે આવા વર્કશોપમાં કોણ જશે તેની ચર્ચાઓ ચાલશે ! આમ જ તેમને અમે રક્ષીશું કે તેઓ આપણી જેમ જ્ઞાન મેળવી પૂર્વગ્રહો ધરાવતા ના થાય અને સતત દરેક બાબતમાં શું સંભાવના રહેલી છે તે ચકાસતા રહે ! શું ખબર વર્ષો પછી કોઈ વૈજ્ઞાનિક નવા નદીસર પ્રાથમિક શાળાનો ઉલ્લેખ તેની લીડરશીપ હેઠળ અવકાશમાં છોડાયેલા ઉપગ્રહ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહે કે, I want to thank my Nava Nadisar Primary School for helping me to preserve my curiosity !”

May 01, 2017

વેકેશનના સમયમાં “સ્વ-ચિંતન” તરફ એક નજર....


 વેકેશનના સમયમાં “સ્વ-ચિંતન” તરફ એક નજર....
                શાળામાં વેકેશન પડવાનો અર્થ છે કે પાઠ્યપુસ્તકને વિરામ આપવો – બાળકો માટે વેકશન એટલે પરમાનંદ ! બાળકોને ગમે તે કહો તો જવાબ એટલો જ હોય છે કે ભણવા સિવાયનું તમે જે કહેશો તે બધું જ કરીશું ! ત્યારે થાય છે કે આપણે બાળકોના મનમાં વર્ગખંડોમાંની પ્રક્રિયાઓને ફકતને ફક્ત ચોક અને ટોક પુરતી સીમિત કરી બોરીંગ બનાવી દીધી છે. પરિણામે બાળકના મનમાં ઘર કરી ગયું છે કે વેકેશન એટલે ન ભણવા દિવસો. કેટલીક જગ્યાએ તો શિક્ષકો તરફથી પણ આવો જ પ્રતિભાવ મળતો હોય છે – ત્યારે પ્રશ્ન થાય કે વર્ગખંડોમાંની પ્રક્રિયા શીખનાર બાળકને નથી ગમતી  – શીખવનાર શિક્ષકને નથી ગમતી  તો પછી તેમાં બદલાવ લાવી રસિક બનાવવાની જવાબદારી કોની ? બાળકને શીખતો કરવો એ આપણો મુખ્ય ધ્યેય છે પરંતુ તેને શીખવાની પ્રક્રિયાઓમાં રસિકતા ઉભી થાય તેની જવાબદારી પણ આપણી છે – બાળકો અલગ અલગ છે – તેમ તેમનો રસ અને રસ્તો અગલ અલગ હોઈ શકે છે – આપણે શિક્ષક તરીકે જેટલા બાળકો એટલા જ પ્રકારના લેન્સનું નિર્માણ કરવું પડશે કે જે બાળકની જરૂરિયાત મુજબની ક્ષમતા ધરાવતાં હોઈ –અગલ અલગ બાળકના પસંદગી મુજબના આકારના હોય – પરંતુ તેમાંથી બધા બાળકને  સરળ રીતે એ જ સમજાઈ જતું હોય જે આપણે તેને સમજાવવા માંગતા હોઈએ ! બાળકોની શીખવાની ક્ષમતાનો સીધો આધાર પ્રક્રિયા પર રહેલો છે- માટે જ શિક્ષક પૂર્ણ ત્યારે જ કહી શકાય જયારે એક જ એકમ માટે જેટલાં પ્રકારના બાળકો તેટલી પદ્ધતિઓથી શીખવવા માટેની ક્ષમતા ધરાવતો હોય !  જે શિક્ષકો આવી ક્ષમતા ન ધરાવતાં હોય તે શિક્ષક માટે સ્લો લર્નર ચાઈલ્ડ ની જેમ સ્લો ટીચર નું લેબલ લાગતું હોય છે.  શું આપણે ‘આ’ કેટેગરીમાં તો નથીને ! તે જાણવા આપણે આપણે આ વેકેશનમાં એ બાળકોને નજર સામે રાખી ચિંતન કરવું રહ્યું જે બાળકો આ વર્ષના તમામ એકમો અભ્યાસક્રમની સંકલ્પનાઓ સમજી શક્યા નથી !! ચિંતન એ વાતનું કે શું આપણી પાસે તે શીખવી શકવાની અન્ય કોઈ આવડત હતી ? હતી તો શું કામ ન કરી શક્યા ? અને નથી તો વેકેશનમાં વિદ્યાર્થી બની ક્યાંથી શીખી લઈએ ? તમે જોયું હશે કે મોનોટોનસ બની કરેલ વર્ગખંડોમાંની મહેનત સપ્લીમેન્ટરી સુધી નથી પહોંચતી અને પરીક્ષાના પરિણામ આપણી ચિંતાઓમાં વધારો કરતાં હોય છે – ત્યારે ચિંતાને તિલાંજલી આપી ચિંતન તરફ વધી આ વેકેશનમાં સજ્જ બનીએ હવે નવા વર્ષના બાળકો માટે – સૌ શિક્ષકોનું વેકેશન ચિંતનમય બની રહે તેવી શુભેચ્છાઓ  !!!